અમદાવાદના પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમારે ભોગાવો નદી પરના પુલની મુલાકાત લીધી
જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પણ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા
(જી.એન.એસ) તા. ૨૦
અમદાવાદ,
અમદાવાદના પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમારે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ માં અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો નદી પર આવેલ નવીન બ્રિજની મુલાકાત લઈને એપ્રોચની કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પણ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમારે અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર સ્થિત પુલને પહોળો કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યા હતા તેમજ જ્યાં પણ માર્ગોના મરામતની આવશ્યકતા હોય ત્યાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે માર્ગ પર ટ્રાફિકની સ્થિતિ અને ચાલી રહેલી કામગીરી સંદર્ભે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અમદાવાદ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી એચ.કે.શાહ સહિત વહીવટી તંત્રના વિભાગોના પદાધિકારીઓ, અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ માં અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો નદી પર આવેલ નવીન બ્રિજની એપ્રોચની કામગીરી પ્રગતિ હેઠળ છે. એપ્રોચની કામગીરી દરમ્યાન ટ્રાફિકનું વહન એક જ લેનમાં કરવાનું હોઈ તેમજ એપ્રોચનું માટીકામ વરસાદી ઋતુ હોઈ ટ્રાફિક પર પડવાની શક્યતા હોઈને તથા ટ્રાફિકની સલામતી જોખમાવાની શક્યતા રહેલી હોવાથી વરસાદી ઋતુ દરમિયાન સલામતીને ધ્યાને લઇને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો બ્રિજ પરના ટ્રાફિકને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.


























































































































































































































