ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતો પ્રતિ એકર પાંચ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે

(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

ઉત્તરાખંડ રાજ્યના આરોગ્ય, શિક્ષણ અને સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવતે આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં ઉતરાખંડ રાજ્યના સહકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવતની પ્રાકૃતિક કૃષિ અને સહકારિતા અંગે વિચાર-વિમર્શ કર્યા હતા.

રાજ્યપાલ શ્રી એ કહ્યું હતું કે, ગુજરાતના દરેક ગામમાં પ્રાકૃતિક કૃષિ કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક ખેડૂતો પ્રતિ એકર પાંચ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ લોકોનું સ્વાસ્થ્ય, જમીન, હવા અને પાણી બચાવવા ઉપરાંત ખેડૂતોને આત્મનિર્ભર પણ બનાવી રહી છે.

આજે કોઈ કેન્સર કે હાર્ટઅટેક જેવી ગંભીર બીમારીઓથી મરવા ઇચ્છતું નથી, લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ છે. આવનારો સમય પ્રાકૃતિક કૃષિનો છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અને જૈવિક ખેતી (ઓર્ગેનિક ફાર્મિંગ) ને એક માને છે. જ્યાં સુધી ખેડૂતોને આ બંને વચ્ચેનો તફાવત ખ્યાલ નહીં આવે, ત્યાં સુધી કોઈ પ્રાકૃતિક કૃષિ અપનાવશે નહીં.

ઉત્તરાખંડમાં પ્રાકૃતિક કૃષિ માટે ઘણો અવકાશ છે. ત્યાંના પહાડી વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ ખૂબ ઝડપથી વધી શકે તેમ છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ સહકારીતા અને પ્રાકૃતિક કૃષિને જોડીને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચી શકાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવતે રાજ્યપાલશ્રીને ઉત્તરાખંડમાં થઈ રહેલી સહકારિતા અને પ્રાકૃતિક કૃષિની પ્રવૃત્તિઓથી અવગત કરાવ્યા હતા. ઉત્તરાખંડ રાજ્યમાં સહકારિતા વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવામાં આવશે, તેમ વધુમાં જણાવ્યું હતું.