(જી.એન.એસ) તા.29
અમદાવાદ,
એસ.જી હાઇવેની ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટે ફૂટ ઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, થલતેજ અંડરપાસ નજીક, પકવાન ફ્લાય ઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આ પાંચ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. હાલ આ તમામ બ્રિજના નિર્માણ માટે ટેક્નિકલ મંજૂરી મેળવવાની બાકી છે.
આ બાબતે ગુજરાત હાઇકોર્ટે એસ.જી હાઇવેની ડિઝાઇનને લઈને અનેક સવાલ કર્યા હતા. જેના જવાબમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટને એક સોગંદનામું આપવામાં આવ્યું હતું. જેમાં ખામીયુક્ત ડિઝાઇન સુધારવા તેમજ રાહદારીઓની સલામતી માટે ડિઝાઇનને સુધારવા માટે ફૂટ ઓવરબ્રિજની જરૂરિયાત જણાઈ રહી છે. આ સિવાય એએમસીએ કોર્ટને જાણ કરી હતી કે, શહેરમાં કેમ્પ હનુમાન અને શાહીબાગ ખાતે બનાવવામાં આવેલા બે ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરૂ થઈ ગયું છે, જેના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયા છે.



























































































































































































































































































































































































































































































































































































































