LLM અને MBA વિદ્યાશાખાના ૨૫૦ વિદ્યાર્થીઓને પદવી અપાશે; ૮ વિદ્યાર્થીનીઓ સહિત ૧૩ને ગોલ્ડ મેડલ્સથી સન્માનિત કરાશે
(જી.એન.એસ) તા. 18
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં સ્થપાયેલી ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવાર તા. ૧૯મી જુલાઈએ યોજાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપશે તેમજ ૮ વિદ્યાર્થીનીઓ સહિત ૧૩ વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટતા માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરશે.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ઔરા ઓડિટોરિયમમાં શનિવારે સાંજે પાંચ કલાકે યોજાનારા આ પદવીદાન સમારોહમાં LLM વિદ્યાશાખાના ૧૮૮ અને MBAના ૬૨ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી આ પદવીદાન સમારોહમાં છાત્રોને શપથ લેવડાવશે તથા પ્રમુખ સ્થાનેથી સંબોધન પણ કરશે.



























































































































































































































































































































































































































































































































































































































