(જી.એન.એસ) તા.29
રાજકોટ,
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ થયો છે જેમાં, પ્રસિદ્ધ લોકસાહિત્યકાર મીરાબહેન આહિરે રાજકોટ હૉસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
મીરાબહેન આહિરે આક્ષેપો લગાવ્યા છે કે, જયારે તેઓ તેમના ભાઈને સારવાર માટે સિવિલ હૉસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા ત્યારે 45 મીનિટ સુધી ઈમરજન્સીમાં સારવાર મળી નથી. એક પણ ડોક્ટર સિવિલમાં હાજર નહોતા, સ્ટાફે ગેરવર્તણૂંક કરી છે. સ્ટ્રેચર ચલાવવા માટે પણ કોઈ વ્યક્તિ હાજર ન હતુ.
મીરાબેન આહિરે સિવિલના તંત્રની કામગીરીને લઈને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મીરાબેને કહ્યું તેમના ભાઈને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યારે 45 મિનિટ સિવિલ રહ્યા બાદ પણ કોઈએ કેસ ન લખ્યો. ઇમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફએ ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મીરાબેનનો આક્ષેપ છે. તેમજ મીરાબેને વીડિયો બનાવી સિવિલ હોસ્પિટલ પાસે તેમણે કરેલા આક્ષેપોનો જવાબ માગ્યો છે. ત્યારે લોકસાહિત્યકાર સાથે વિવાદ મુદ્દે બેઠક શરુ થઇ છે. તથા સિવિલ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા છે. તથા નર્સિંગ સ્ટાફ અને સિવિલ અધિક્ષક વચ્ચે બેઠક થઇ છે. તેમજ સમગ્ર મામલે સિવિલ અધિક્ષક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ ઘટના બાદ હૉસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં આ તપાસના તારણો શું હશે અને જવાબદારો સામે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું. આ ઘટનાએ ફરી એકવાર સરકારી હૉસ્પિટલોમાં દર્દીઓ પ્રત્યેના વ્યવહાર અને સુવિધાઓ પર સવાલ ઊભા કર્યા છે.


























































































































































































































































































































































































































































































































































































































