રાજ્યમાં નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન અન્વયે લોન સહાય કામગીરીની સહકારી બેંકોના અધ્યક્ષો સાથે સમીક્ષા યોજતા મુખ્યમંત્રીશ્રી
(જી.એન.એસ) તા. 8
ગાંધીનગર,
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની કો-ઓપરેટીવ બેંકોને ગ્રામીણ સ્વ સહાય જૂથ સખી મંડળો લોન-ધિરાણ આપવાની પ્રક્રિયામાં સરળતા સાથે વધુ ગતિ લાવવાનો અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં સહકારી બેંકોના અધ્યક્ષો અને ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપની તથા મહિલા-બાળ વિકાસ, ગ્રામ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સમીક્ષા બેઠકના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં આ અનુરોધ કર્યો હતો.
ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તથા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતી પણ આ બેઠકમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વ સહાય જૂથોની બહેનોને આત્મનિર્ભર બનાવવાનો જે નિર્ધાર કર્યો છે તેને આવા વધુ ને વધુ લોન-ધિરાણથી પાર પાડી શકાશે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્વ સહાય જૂથો એવા નાના વ્યવસાય-રોજગાર કરનારા જૂથો હોય છે કે તેમને સહકારી બેંકો જેટલું વધુ ધિરાણ આપે તેટલું ઉત્તમ કામ સેલ્ફ હેલ્પ ગ્રુપ કરી શકે.
રાજ્યમાં ખેતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૧.૭૬ લાખ, ઉત્પાદક અને વેપાર સાથે જોડાયેલા ૧૬૬૦૮ તથા અન્ય આજીવિકા સાથે જોડાયેલા ૬૯૭૩ મળીને સમગ્રતયા ૨.૮૪ લાખ ગ્રામીણ સ્વ સહાય જૂથો કાર્યરત છે.
આ સ્વ સહાય જૂથોને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLM અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ ૨૦ લાખ સુધીની લોન આપવાની જોગવાઈઓ છે. રાજ્ય સરકારની ગુજરાત લાઇવલી પ્રમોશન કંપની આ હેતુસર ગ્રામીણ સ્વ સહાય જૂથોને લોન -ધિરાણ મેળવવામાં મદદરૂપ થાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૫-૨૬ના આ વર્ષમાં ૮૮૨૦૦ સ્વ સહાય જૂથોને ૧૨૪૦ કરોડના ધિરાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેમાંથી ૧૩ હજારથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપને ધિરાણ આપી દેવામાં આવ્યા છે તેમ આ સમીક્ષા બેઠકમાં પ્રેઝન્ટેશન દરમિયાન જણાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ સ્વ સહાય જૂથોને ત્વરાએ લોન ધિરાણ સરળતાએ મળી રહે તેવી સંવેદના દર્શાવતા સહકારી બેંકોને આવા લોન-ધિરાણ માટે કેમ્પના જિલ્લા સ્તરે આયોજન માટે પણ દિશાનિર્દેશો આપ્યા હતા.
એટલું જ નહીં, આવા કેમ્પમાં આવેલી અરજીઓની ઝડપી સ્કૃટિની થવાથી લઈને ધિરાણ મળવા સુધીની પ્રક્રિયા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના માર્ગદર્શનમાં વધુ વેગવાન બનાવવા તથા બેંકોને સ્વ સહાય જુથો પ્રત્યે ઉદારતા રાખીને બિન જરૂરી એક પણ અરજી ના મંજુર ન થાય તે માટે તેમણે તાકીદ કરી હતી.
આ માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેની પણ બેઠકમાં પ્રાથમિક ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સહકારી બેંકોના ચેરમેનશ્રીઓ, એમ.ડી. અને પદાધિકારીઓને ખાસ આગ્રહ કર્યો કે, બહેનોને લોન-ધિરાણ મેળવવાની સમજ આપીને યોગ્ય તાલીમ માટેના વર્કશોપ-કેમ્પ પણ ક્લસ્ટર લેવલે યોજાય તે જરૂરી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે કહ્યું કે, સ્વ સહાય જૂથની બહેનો આર્થિક ઉપાર્જન સાથે પરિવારનો આધાર બની રહે છે માટે તેમને આવી લોન અપાય તો તેમના દ્વારા પુનઃ ભરપાઈની સુનિશ્ચિતતા છે જ એટલે સહકારી બેંકોને એન.પી.એ. થવાનો સંદેહ રાખવાની આવશ્યકતા નથી.
તેમણે સહકારી બેંકોના અધ્યક્ષો અને રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ વચ્ચે આવી સમીક્ષા બેઠક ગ્રામ વિકાસ મંત્રીશ્રી કક્ષાએ નિયમિતપણે દર ત્રણ માસે યોજાય તેવું સૂચન પણ બેઠકમાં કર્યું હતું.
સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ બેંકોના ચેરમેનશ્રીઓને NRLM મિશનના ઉદ્દેશ્યો ઝડપથી સાકાર કરવામાં સહયોગી થવાના પ્રેરક સૂચનો કર્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં રાજ્યની સહકારી બેંકોના અધ્યક્ષો તથા નાણાં અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રીઓ, નાબાર્ડના ચીફ જનરલ મેનેજર શ્રી બી.કે. સીંઘલ, SLBCના કન્વિનર શ્રી અશ્વિની કુમાર, અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


























































































































































































































































































































































































































































































































































































































